કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ 2019 લોકસભાની ચૂંટણી દરમિયાન જબલપુરની રેલીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર કરેલી ટિપ્પણી અને ADC બેન્ક કેસમાં હાજર ન રહેવાના કારણે દાખલ કરેલી એક્ઝેમ્પશન અરજી અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે માન્ય રાખી લીધી છે.અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવામાંથી મુક્તિ આપી છે. જો કે તેમના સ્થાને તેના એડવોકેટને મુદત દરમિયાન હાજર રહેવું પડશે. જયારે કોર્ટને લાગશે ત્યારે રાહુલ ગાંધીને હાજર થવું પડશે.
રાહુલ ગાંધીની જગ્યાએ તેમના વકીલ પંકજ ચાપાનેરી અમદાવાદ મેટ્રો કોર્ટ સમક્ષ દાખલ કરેલી એક્ઝેમ્પશન અરજીમાં CRPCની કલમ 61, 205, 273 અને 317 મુજબ આરોપીને કોર્ટની કાર્યવાહી દરમિયાન ગેરહાજર રહેવાની માંગ કરી હતી. અરજદાર રાષ્ટ્રીય રાજનેતા હોવાથી પણ તેમને કોર્ટની કાર્યવાહી સમક્ષ હાજર રહેવાની મુક્તિ આપવામાં આવે.
આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ નોટબંધી વખતે ADC બેન્ક વિશે કરેલા નિવેદન પર બેંકના ચેરમેન દ્વારા બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી. અગાઉ કોર્ટે એડીસી બેન્ક કેસમાં 15 હજારના પર્સનલ બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજુર કર્યા હતા. ત્યારબાદ કેસની સુનાવણી દરમિયાન હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી.