નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે સતત 18માં દિવસે યથાવત છે. ત્યારે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ઘણા તબક્કાની વાતચીત થઈ ચુકી છે, પરંતુ ખેડૂત કાયદાને રદ્દ કરવાથી ઓછી કોઈ શરત માનવા માટે તૈયાર નથી.
ત્યારે આ વચ્ચે ગૃહ પ્રધાન અમિત શાહ આ મુદ્દા પર રવિવારે ફરી સક્રિય થયા છે. જેમાં અમિત શાહે પહેલા પંજાબ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં અશ્વિની શર્મા, કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન સોમ પ્રકાશ સહિત પંજાબ ભાજપના અન્ય નેતા સામેલ રહ્યા હતા. આ નેતાઓએ ખેડૂત આંદોલનને લઈને ગૃહ પ્રધાનને પંજાબની જમીની સ્થિતિની જાણકારી આપી હતી. ત્યારબાદ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પણ ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન ખેડૂત આંદોલન પર ચર્ચા થઈ હતી.
રવિવારે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન સોમ પ્રકાશે કહ્યું કે, પ્રદર્શનને લઈને અડગ ખેડૂત યૂનિયનના નેતા અપ્રાસંગિક થઈ જશે. સંભવ છે કે આ નેતા યૂનિયન પર પોતાનું નિયંત્રણ ગુમાવી દે અને બીજા ખેડૂત નેતા ઉભરે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, જે નેતા સમય રહેતા નિર્ણય લેતા નથી તે નેતા રહેવા યોગ્ય રહેતા નથી.
આ ઉપરાંતમ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, જે કેટલાક મહત્વના લોકો આજે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે તે માત્ર વિરોધ માટે વિરોધ કરી રહ્યાં છે. આ તે લોકો હતા જે થોડા દિવસ પહેલા કાયદાની જરૂરીયાત ગણાવી રહ્યાં હતા. ભાજપ જનતાને જણાવશે કે આ કાયદો કઈ રીતે તેને ફાયદાકારક થવાનો છે.