29 દિવસથી ચાલી રહેલા આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધનો અંત આવવાની આશા હવે સેવાઈ રહી છે. આ બંને દેશોએ અડધી રાતથી યુદ્ધ વિરામ લાગુ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. પહેલા અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓ અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર આ અંગે જાણકારી આપી.
આર્મેનિયા અને અઝરબૈજાન દુનિયાના નક્શાના બે ટચૂકડા દેશો છે. પરંતુ આ બંને દેશો વચ્ચે નાગોર્નો કારાબાખને લઈને એક મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે દુનિયાની નજર આ બે દેશો પર ટકેલી હતી. જેમાં દાવો થઈ રહ્યો છે કે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષના લગભગ 5 હજાર લોકો માર્યા ગયા છે.
આ બંને દેશો વચ્ચેની શાંતિ સમજૂતિની અનેક પ્રયત્નો ફેલ ગયા બાદ હાલ તો યુદ્ધના વાદળો વિખરાતા જોવા મળી રહ્યા છે. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ જાણકારી આપી છે કે, બંને દેશો યુદ્ધ વિરામ માટે તૈયાર થઈ ગયા છે. અમેરિકાએ આર્મેનિયા અને અઝરબૈજાનના વિદેશમંત્રી અને OSCE Minsk Groupની સાથે ઊંડી વાતચીતની સુવિધા આપી જેનાથી નાગોર્નો કારાબાખના સંઘર્ષને સમાપ્ત કરવાની નજીક પહોંચી શકે.