ગાંધીનગરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જન સ્મોલ ફાઇનાન્સ બેંકની 15 શાખાઓનું ઇ-લોકાર્પણ કર્યું હતું. જેમાં CM રૂપાણીએ જણાવ્યું કે, આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે GST નંબર ના ધરાવતા નાના માણસોને નાનું ધિરાણ આપતી બેંક વર્તમાન સમયની માંગ છે. દેશના અર્થતંત્રને ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવા માટે નાના માણસોના હાથ સુધી ધિરાણ-મૂડી પહોંચે તે આવશ્યક છે. PM મોદી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી ભારતને ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનો જે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે. તેમાં આવા નાના માણસો સ્વરોજગાર કરનારાઓ બેંકોમાંથી લોન સહાય મેળવી પોતાનું યોગદાન આપી શકશે.
CM રૂપાણઈએ કહ્યું કે, નાના માણસોની મોટી બેંક તરીકે રાજ્યમાં જન સ્મોલ ફાઇનાન્સ બેંક કાર્યરત રહીને સામાન્ય માનવી નાના સ્વરોજગાર કરનારાઓને નાણાં સહાય પૂરી પાડવામાં રાજ્ય સરકારની યોજનાઓમાં સહયોગ કરશે. આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજ્યના 2.5 લાખ લોકોને 2500 કરોડનું ધિરાણ મળ્યું છે. અરજદારોને 2% વ્યાજે 1 લાખ અને 4% વ્યાજે 2.5 લાખની લોન મળી છે. રાજ્ય સરકારે ક્રમશ: 6% અને 4% વ્યાજની સબસિડી આપી છે.
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યની કો-ઓપરેટીવ્સ બેંકોએ પણ નાના માણસોની મોટી બેંક બની લોકોને ધિરાણ આપ્યું છે. સામાન્ય માણસોના હાથમાં મુડી પહોચતા તેઓ બે પાંદડે થશે. ગુજરાતનું અર્થતંત્ર આગળ વધશે. ગ્રામીણ ક્ષેત્રોમાં બેંક મેનેજર આંખની ઓળખાણથી ધિરાણ આપતા હોય છે. લોકો જાત જામીનગીરી પર લોન લેતા હોય છે. જન સ્મોલ ફાઇનાન્સ બેંક તેના નામ પ્રમાણે જન-સામાન્યની બેંક બની રહેશે.
આ ઉપરાંત CM રૂપાણીએ રાજ્યની જનતા વતી જન સ્મોલ ફાઇનાન્સ બેંકના અધિકારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ અપી હતી. જેમાં ભાવનગર, ભરુચ, ઘાટલોડીયા, મોડાસા, વરાછા, ભુજ, મહેસાણા, વલસાડ, ગોધરા, હિંમતનગર, જુનાગઢ, રાજકોટ, કલોલ, નારોલ અને પાટણ ખાતેની જન સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખાઓના ઇ-લોકાર્પણ પ્રસંગે CM રૂપાણીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, જન સ્મોલ ફાઇનાન્સ બેંકના એમ.ડી. અજય કનવર અને ઝોનલ હેડ ગૌરવ જૈઠવા હાજર રહ્યા હતા.