
ગુજરાતમાં કોરોનાના 30થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એકનું મૃત્યું પણ નિપજ્યું છે જેને પગલે સમગ્ર રાજ્યમાં 31 માર્ચ સુધી સરકારે લોકડાઉન કરી કલમ 144 લાગુ કરી છે.. લોકડાઉન અનુસાર લોકો ફક્ત જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટેજ બહાર નીકળી શકશે. જો કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો પોલીસ દ્વારા તેની સામે કડક કાર્યવાહી હાથ ધરાશે..જો કે મંગળવારે પોલીસે રાષ્ટ્રરક્ષક એવા પત્રકારો અને ડોકટરો સાથે દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં પોલીસે પત્રકારોને ફટકાર્યા બાદ હવે સુરતમાં ‘રાષ્ટ્રરક્ષક’ ડોક્ટરોને બેરહમીથી ફટકાર્યા છે. સુરતના જહાંગીરપુરા સ્થિત ઘરેથી સિવિલ હોસ્પિટલે ફરજ પર જઈ રહેલા ડો.ચૌધરીને પોલીસે ગાળો ભાંડી ગડદાપાટુંનો માર માર્યો હતો. ડો. ઓમકાર ચૌધરીએ પોલીસને આઈ કાર્ડ બતાવ્યા બાદ પણ પોલીસે દાદાગીરી કરી હતી. તો પ્રાપ્ત વિગતો અનુસાર સિવિલ ડ્રેસમાં કારને ઉભી રાખનાર વ્યક્તિ પાસે ઓળખનો પરિચય પત્ર માગતા પોલીસ કર્મચારીઓ બેફામ બન્યા હતા અને ડો.ચૌધરી સાથે દુર્વ્યવહાર કર્યો હતો.