કેન્દ્ર સરકારે મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં જમીન માલિકી અધિનિયમ સંબંધિત કાયદામાં નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. આ નોટિફિકેશન બાદ કોઈ પણ ભારતીય જમ્મુ અને કાશ્મીરમાં જમીનની ખરીદી-વેચાણ કરી શકે છે, જો કે હાલ લદાખમાં આવું શક્ય બની શકશે નહીં.
ગૃહ મંત્રાલયના નવા નોટિફિકેશન મુજબ જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન કાયદો તત્કાળ પ્રભાવથી લાગુ થાય છે, પરંતુ લદાખમાં હાલ લાગુ કરાયો નથી. આ દરમિયાન LAC પર ભારત-ચીન ઘર્ષણને જોતા કલમ 371 કે છઠ્ઠી અનુસૂચિની માંગણી કરાઈ. કલમ 371માં છ પૂર્વોત્તર રાજ્યો સહિત કુલ 11 રાજ્યો માટે ખાસ જોગવાઈ છે. જેથી કરીને તેમની સાંસ્કૃતિક ઓળખ અને આર્થિક હિતોની રક્ષા થઈ શકે. લદાખના નેતાઓનું કહેવું છે કે તેમની 90 ટકા વસ્તી આદિવાસી છે આથી તેમના અધિકારોની રક્ષા કરવી પડશે.
આ ઉપરાંત આ જ પ્રકારની જોગવાઈ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પહેલેથી લાગુ છે. આ રાજ્યોમાં અન્ય રાજ્યોના લોકો દ્વારા જમીન ખરીદવા પર પ્રતિબંધ છે. આ માગણીઓ પર ભાજપના નેતાઓએ પણ સહમતિ આપી. આ સાથે જ આમ ન થાય તો LAHDC ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચેતવણી અપાઈ.