કોરોના મહામારીના કારણે યાત્રાધામ સોમનાથના ભાંગી પડેલા પ્રવાસનને ફરી ધમધમતુ કરવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 31 ડિસેમ્બરના મિની વેકેશન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
ટ્રસ્ટ હસ્તકનાં ગેસ્ટ હાઉસ અને અતિથીગૃહોમાં 15 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી દરમિયાન રૂમ બુક કરાવનારા પર્યટકોને 15થી 25 ટકા જેટલું બમ્પર ડીસ્કાઉન્ટ પ્રવાસીઓને આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર વિગત અંગે ટ્રસ્ટનાં જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, વૈશ્વિક કોરોના મહામારીના કારણે દરેક ક્ષેત્રમાં ખાસ કરીને વેપાર ઉદ્યોગમાં તેની ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ ઠપ્પ થઇ હોવાનાં કારણે મંદીનો સામનો કરી રહ્યો છે. નાના ઉદ્યોગો ધરાવતા લોકોને ખુબ જ અસર પડી રહી છે. હાલ ડિસેમ્બર ચાલી રહ્યો છે. ત્યારે મોટા શહેરોમાં રાત્રી કરર્ફ્યૂ યથાવત્ત રહે તેવી શક્યતાઓ છે. તેને ધ્યાને રાખીને લોકો નાના ડેસ્ટિનેશન તરફ જવાનું વિચારી રહ્યા છે. તેવામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા વર્ષો દરમિયાન 31 ડિસેમ્બરના મિની વેકેશનમાં યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. તથા સ્થાનીક રોજગાર પણ મળી રહે તેવા આશ્રયથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 15 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન ટ્રસ્ટના લીલાવતી, માહેશ્વરી અતિથિભવન અને સાગરદર્શન અતિથિગૃહમાં રૂમો બુક કરાવનારા પર્યટકોને ભાડામાં મહત્તમ 25 ટકા સુધીનાં ડીસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓફલાઇન કે ઓનલાઇન માધ્યમથી રૂમ બુક કરાવનારા પર્યટકોને લાભ મળશે.