દિવાળીનો તહેવાર નજીક આવતો જાય છે, પરંતુ ગુજરાતમાં હજુ સુધી ફટાકડા ફોડવાના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સંદર્ભે રાજ્ય સરકારે કોઈ બેઠકનું આયોજન કર્યું નથી. 9 તારીખે ગ્રીન ટ્રિબ્યુનમા કેસની સુનાવણી થશે, તે સમય પહેલા રાજ્ય સરકાર યોગ્ય જવાબ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ નિયંત્રણની કોઈ વિચારણા હાલના તબક્કે નથી. જોકે સ્વૈચ્છિક રીતે નિયંત્રણ પાડવામાં આવે તેવી અપીલ સરકાર કરી શકે છે.
ગુજરાત ફાયર ડિલર્સ એસોસિયેસનના ઉપપ્રમુખે જણાવ્યું કે, કોરોનાના ડરના કારણે લોકોએ વહેલી ખરીદી કરવાનું શરૂ કર્યું છે. કર્મચારીઓના પગાર અને બોનસ થયા હોવાથી સારા વ્યાપારની આશા વેપારીઓમાં જાગી છે. કોરાનાને પગલે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે પ્રોડક્શનમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. તેમજ હોલસેલમાં ડિમાન્ડમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ફટાકડાના સીઝનલ સ્ટોરમાં 50 ટકાનો ઘટાડો થયો છે.
ગત વર્ષે ચોમાસા બાદના કમોસમી વરસાદને કારણે ફટાકડામાં ભારે નુકસાન થયું હતું. તેમજ પ્રોડક્શન ઘટ્યું હોવા છતાં પ્રાઇઝમાં કોઇ વધારો નથી. કોરોનાને પગલે ઓનલાઇન ઓર્ડર અને હોમ ડિલીવરી પણ વેપારીઓએ શરૂ કરી દીધી છે. ફટાકડાના સ્ટોર પર કોવિડ ગાઇડલાઇન્સનું પાલન માટે પુરતી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. પ્રથમ દિવાળીમાં હોલસેલ વેચાણ 50 ટકા ઘટ્યું છે. ત્યારે વેપારીઓને હવે રીટેઇલ માર્કેટ પર આધાર છે.
રાજ્યમાં કોરોનાને કારણે ફટાકડાના વેપારીઓએ પણ ડિજીટલ પેમેન્ટ પર વધુ ભાર મૂક્યો છે. તો બીજી તરફ, ગ્રાહકોએ બાળકો ઘરમાંજ એન્જોય કરી શકે એવા ફાયર ક્રેકર્સની પસંદગી કરી છે. કોરાના કાળમાં બાળકોએ બહાર ન જવું પડે માટે બાલ્કની કે ઘરમાંજ ફોડી શકે તેવા ફટાકડાની ખરીદી કરી છે.