ગુજરાત સરકાર શિક્ષણ સંસ્થાઓને ચાલુ કરવા માટે ઝડપભેર આગળ વધી રહી છે. ત્યારે હવે માર્ચ મહિનાથી બંધ રહેલી શાળાઓને દિવાળી પછી ચાલુ કરવા માટે રાજ્ય સરકારે મન બનાવી લીધું છે. જોકે કોરોનાના કહેર વચ્ચે બાળકોને શાળાઓમાં મોકલવા કે નહીં તે અંગે વાલીઓને વિકલ્પ આપવામાં આવશે. જો વાલીઓ પોતાના બાળકને શાળાએ મોકલવા ઈચ્છતા ન હોય તો તેમને ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ 23મી નવેમ્બરથી ધો.9થી12ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ ચાલુ કરવાનું નકકી કરી લેવામાં આવ્યું છે. પરંતુ તેમાં વિદ્યાર્થીઓને જવાનું ફરજીયાત રાખવામાં નહીં આવે. કોરોનાનો કહેર હળવો થયો હોવા છતાં સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના વાલીઓને વિકલ્પ અપાશે કે તેમના બાળકોને રૂબરૂ મોકલવા માંગે છે કે ઓનલાઈન શિક્ષણ આપવા માંગે છે.
આ ઉપરાંત બીજા તબકકામાં ધો.6થી8ના વિદ્યાર્થીઓ માટે શાળા ચાલુ કરાશે. જ્યારે પ્રાથમીક શાળાઓ કયારે ખોલવી તે વિશે હજુ કોઈ વિચારણા જ કરવામાં આવી નથી. કોરોના સંક્રમણ સંપૂર્ણપણે કાબુમાં આવી ગયા પછી જ પ્રાથમીક શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. ધો.9થી12ની સ્કુલો ખોલવામાં આવ્યા પછી પણ 50 ટકા વિદ્યાર્થીઓને જ હાજર રાખવાનો નિયમ લાગુ કરવામાં આવશે. જોકે મોટાભાગના વાલીઓ સંતાનોને સ્કુલે મોકલવા તૈયાર થાય તો તેવા સંજોગોમાં એક-એક દિવસ વારાફરતી હાજરી આપવાનું કહેવામાં આવશે.