દેશમાં ભારતીય વાયુસેનાને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. આજે એકવાર ફરી રાફેલ વિમાનનો બીજો જથ્થો ભારત આવશે. જેમાં આજે વધુ 3 રાફેલ વિમાન ભારતને સોંપવામાં આવશે. જામનગર એરબેઝ પર આ ત્રણેય રાફેલ વિમાનો ઉતરાણ કરશે. આ ત્રણેય રાફેલ વિમાનો ફ્રાંસથી ઉડ્ડયન કર્યા બાદ 7364 કિમીની સફર અટક્યા વિના પૂર્ણ કરશે. લગભગ આજ સાંજ સુધીમાં આ ત્રણેય વિમાનો ભારત આવી જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
આપને જણાવી દઈએ કે, આજે ભારતમાં ત્રણ રાફેલ વિમાનો આવી જશે તો ભારતમાં કુલ રાફેલની સંખ્યા 8 થઈ જશે. આગામી 2 વર્ષંમાં ફ્રાંસ દ્વારા તમામ 36 ફાઈટર જેટ પણ ડિલિવર કરવામાં આવશે. વર્ષ 2016માં ભારતે ફ્રાંસ સાથે 58 હજાર કરોડમાં 36 રાફેલ ફાઈટર જેટની ડીલ કરી હતી. જેમાં 36માંથી 30 ફાઈટર જેટ્સ હશે અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે. આ ટ્રેનર જેટ્સ ટુ સીટર હશે અને તેમાં પણ ફાઈટર જેટ્સ જેવા તમામ ફિચર જોવા મળશે.
આ ઉપરાંત રાફેલની સાથે હવામાં ફ્યુલ ભરનારું ફ્રાંસના એરફોર્સનું સ્પેશિયલ જેટ પણ સાથે હશે. ઉલ્લેખનીય છે કે, ગત 29 જુલાઈએ ફ્રાંસથી 5 રાફેલ વિમાન ભારત આવ્યાં હતાં. ત્યારે પણ હવામાં જ ઈંધણ ભરાયું હતું. જો કે એ સમયે પાંચેય રાફેલ વિમાને ફ્રાંસના દાસૌ એવિએશનથી ઉડ્ડયન શરૂ કર્યા બાદ યુએઈમાં હોલ્ડ કર્યો હતો પણ આ વખતે હોલ્ડ નહીં કરે.